પથિક લીંબાચિયા, અમદાવાદ:
18 માર્ચ 2026:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આજે અમદાવાદના કે.એલ. કમિટી રૂમ ખાતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના રેલવે સત્તાધીશો સાથે એક ‘ઓપન હાઉસ’ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરેક્ટિવ સત્રમાં વરિષ્ઠ રેલવે અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો અને લોજિસ્ટિક્સ વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માલસામાનની હેરફેર (Freight), પેસેન્જર કનેક્ટિવિટી અને પ્રાદેશિક લોજિસ્ટિક્સ કાર્યક્ષમતાને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મહાનુભાવોનું સ્વાગત કરતા GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે ભારતના આર્થિક વિકાસમાં રેલવેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારત જ્યારે ૫ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ટકાઉ વિકાસ માટે લોજિસ્ટિક્સ ક્ષેત્રની કાર્યક્ષમતા એક નિર્ણાયક પરિબળ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં વર્તમાન લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવાની મોટી તક છે અને રેલ ફ્રેઈટ આ પરિવર્તનમાં કેન્દ્રસ્થાને છે.

GCCI લોજિસ્ટિક્સ ટાસ્કફોર્સના ચેરમેન શ્રી હિતેન વસંતે તેમના ઉદઘાટન સંબોધનમાં જણાવ્યું હતું કે લોજિસ્ટિક્સ એ વ્યવસાયોની સ્પર્ધાત્મકતા વધારવા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે સડક માર્ગની સરખામણીમાં રેલ પરિવહન ૭૫% ઓછું CO₂ ઉત્સર્જન કરે છે, જે તેને ભારતની ગ્રીન લોજિસ્ટિક્સ વ્યૂહરચનાનો આવશ્યક ભાગ બનાવે છે. તેમણે વેગનની ઉપલબ્ધતા, ફ્રેટ શેડ્યૂલિંગ, ટર્મિનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી અને ડિજિટલ ઇન્ટિગ્રેશન જેવા મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશ (IRTS) એ ઉદ્યોગ જગત અને રેલવે વચ્ચે સીધો સંવાદ સ્થાપવા માટે GCCIની પહેલને બિરદાવી હતી. તેમણે સ્ટેકહોલ્ડર્સના પ્રશ્નોના નિરાકરણ અને માલવાહક સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા માટે અમદાવાદ ડિવિઝનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં, તેમણે રેલવેની નવી નીતિઓ, ફ્રેઈટ પ્રોગ્રામ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિશે અપડેટ્સ આપતા કાર્યક્ષમતા વધારવાની યોજનાઓ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ શ્રી અન્નુ ત્યાગી (IRTS), સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર; ડૉ. ઝેનિયા ગુપ્તા (IRTS), સીનિયર ડિવિઝનલ ઓપરેશનલ મેનેજર અને શ્રી જગદંબા પ્રસાદ, સીનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત GCCIના હોદ્દેદારોમાં શ્રી રાજેશ ગાંધી, સિનિયર ઉપપ્રમુખ, શ્રી અપૂર્વ શાહ, ઉપપ્રમુખ અને શ્રી ગૌરાંગ ભગત, માનદ ખજાનચી સહિત લોજિસ્ટિક્સ ટાસ્કફોર્સના સભ્યો અને વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ ‘ઓપન ફોરમ’ દરમિયાન સહભાગીઓએ માલસામાનની હેરફેર, પોર્ટ કનેક્ટિવિટી અને પેસેન્જર સેવાઓ સંબંધિત પડકારો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. રેલવે સત્તાધિકારીઓએ અનેક પ્રશ્નોને અગ્રતાના ધોરણે ઉકેલવાની ખાતરી આપી હતી.
અંતમાં, લોજિસ્ટિક્સ ટાસ્કફોર્સ (રેલવે) ના કો-ચેરમેન શ્રી ભાવેશ શાહે આભારવિધિ કરતા રેલવે અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓનો તેમની સક્રિય સહભાગિતા બદલ આભાર માન્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GCCIHostsOpenHousewithAhmedabadDivision #WesternRailwaytoStrengthenIndustry-RailCollaboration #GujaratChamberofCommerce&Industry #GCCI #OpenHouseSession #RailwayAuthoritiesoftheAhmedabadDivision #WesternRailways



