- ચેક રિટર્નના કેસોની હાલ કુલ ૧૯ કોર્ટો આવેલી છે.
- ૨૩ અને પ્લસ એક ઓનલાઇન કોર્ટ એટલે કુલ ૨૪ કોર્ટો ચેક રિટર્નના કેસો માટેની થશે.
- ચેક રિટર્નની કોર્ટોમાં કરોડો-અબજો રૃપિયાની કિંમતના કેસો પડતર બોલી રહ્યા છે.
અમદાવાદ: 18 જૂન 2025:
અમદાવાદમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ચેક રિટર્નના કેસોના નોંધપાત્ર ભરાવાને ધ્યાનમાં લઇ આ કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નના કેસોની વધારાની ચાર નવી કોર્ટો શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવી ચાર કોર્ટો આવતીકાલે તા.૧૮મી જૂનથી ધમધમતી થઇ જશે. સૌથી નોંધનીય વાત તો એ છે કે,સમગ્ર ગુજરાત રાજયમાં ચેક રિટર્નના પડતર કેસો પૈકી સૌથી વધુ આશરે ચાર લાખથી વધુ કેસો અમદાવાદમાં પડતર છે. એટલે કે,રાજયમાં ચેક રિટર્નના જે કુલ પડતર કેસો છે, તેમાં એકલા અમદાવાદમાં જ આશરે ૬૦ ટકા કેસો તો પડતર છે.

આ અંગે અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પૂર્વ એકઝીકયુટીવ મેમ્બર બ્રિજ અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલના ઉમદા આશયથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ ચાર નવી કોર્ટો અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ, લાલ દરવાજા ખાતે શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે, તેનાથી કેસોનું ભારણ નિશંકપણે ઘટશે. ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ચેક રિટર્નના કેસોની હાલ કુલ ૧૯ કોર્ટો આવેલી છે, જે તમામ અપનાબજાર, બહુમાળી બિલ્ડીંગમાં જ કાર્યરત છે. આ સિવાય ઓનલાઇન કોર્ટમાં પણ એક જજને નિયુકત કરાયા છે અને હવે આ નવી ચાર કોર્ટો ઉમેરાશે એટલે કે, ચેક રિટર્નના કેસોની કુલ કોર્ટો ૨૩ અને પ્લસ એક ઓનલાઇન કોર્ટ એટલે કુલ ૨૪ કોર્ટો ચેક રિટર્નના કેસો માટેની થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ચેક રિટર્નની કોર્ટો વધવાની સાથે સાથે સામે કેસો પણ બહુ નોધનીય રીતે વધી રહ્યા છે. ખાસ કરીને પાછલા કેટલાક વર્ષોમાં બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ગૃહ મંડળીઓ અને નાણાં ધિરાણ આપતી સંસ્થાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધી છે તો, ચીટીંગના કેસો પણ એ જ રીતે વધી રહ્યા છે, ફુલ્યાફાલ્યા છે. જેના કારણે ચેક રિટર્નના કેસોમાં વધારાનું આ સૌથી મોટુ કારણ છે. સૌથી વધુ કેસો બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ધિરાણ આપતી સંસ્થાઓ અને શરાફ પેઢીઓ-મંડળીઓ દ્વારા જ મોટા પ્રમાણમાં દાખલ કરવામાં આવતા હોય છે. જેના કારણે કેસોનો ભરાવો પણ એટલી જ હદે વધી રહ્યો છે.
પૂરતા ઇન્ફ્રાસ્ટ્કચર, મેન પાવર સાથે જો ચોકક્સ સમયમર્યાદામાં અને અસરકારક કામગીરી કરવામાં આવે તો, ચેક રિટર્નના પડતર કેસોનું ભારણ અને બોજો હળવા થઇ શકે તેમ છે પરંતુ જરૃર છે માત્ર ઇચ્છાશકિત અને નિષ્ઠાપૂર્વકની ન્યાયિક કામગીરીની. જો એમ થાય તો, વકીલો-પક્ષકારોની સાથે સાથે બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ધિરાણ આપતી સંસ્થાઓ સહિતની સંસ્થાઓને પણ મોટી રાહત મળી શકે. હાલ ચેક રિટર્નની કોર્ટોમાં કરોડો-અબજો રૃપિયાની કિંમતના કેસો પડતર બોલી રહ્યા છે, જેના નિકાલની પક્ષકારો રાહ જોઇને બેઠા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #chequereturncases #chequereturn #courtonline #gujarathighcourt #thenegotiableinstrumentsact #apnabazaarmulti-storeybuilding #criminalcourtsbarassociation #criminalcourt#gandhinagar #ahmedabad
