પથિક લીંબાચિયા, અમદાવાદ:
29 ઓક્ટોબર 2025:
તા. 31 ઓક્ટોબર 2025નાં રોજ નવજીવન ટ્રસ્ટમાં રેઝોનન્સ •સરદાર• નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય પ્રદર્શનનો આરંભ થઇ રહ્યો છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 6 કલાકે શ્રી અમિત અંબાલાલના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શન તા 15 ડિસેમ્બર,2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન ખુલ્લું રહેશે.

સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ રહી છે. એવા સમયે છેલ્લા શ્વાસ સુધી સરદાર જે સંસ્થાના પ્રમુખ હતા એ નવજીવન ટ્રસ્ટ માટે બેવડા હરખની ક્ષણ છે. ૩૧ ઑક્ટોબર ૧૯૫૦ના રોજ નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે થયું હતું. નવજીવનના આ ઐતિહાસિક ભવને ગૌરવવંતાં ૭૫ વર્ષ પૂર્ણ કર્યાં છે.

નવજીવન ટ્રસ્ટના આંગણામાં આવેલા આર્ટિસ્ટ સ્ટુડિયોમાં કલાસાધના કરતા આર્ટિસ્ટ મિત્રો દ્વારા આ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો મુખ્ય વિષય છે : ‘દેશ, ગુજરાત અને નવજીવન સાથેનો સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ.’ બીજા શબ્દોમાં કહી શકાય કે સરદારનો ઋણાનુબંધ. આ આર્ટ એક્ઝિબિશન સરદારની ૧૫૦મી જન્મજયંતી અને નવજીવન ટ્રસ્ટ ભવનના ૭૫ વર્ષના સંગમને વંદન કરે છે. નવજીવન પરિવાર સાથે જોડાયેલા આ આર્ટિસ્ટ મિત્રો કળાના માધ્યમથી ભવ્ય ભૂતકાળનું પુણ્યસ્મરણ કરી સરદારને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

ગાંધીજીનું માનસ સંતાન એવા નવજીવનની આ ઇમારતે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા પણ એની શુભ શરૂઆત ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ થઈ હતી. ગાંધીજીના માર્ગદર્શનમાં ‘નવજીવન’ સાપ્તાહિકનો પ્રથમ અંક પ્રગટ થયેલો. એ પછી દસ વર્ષ બાદ ઈ.સ. ૧૯૨૯માં ગાંધીજીએ કાગળ પર નવજીવન ટ્રસ્ટની રચના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલને ટ્રસ્ટના પ્રમુખ પદે નીમ્યા. જીવનના અંતિમ શ્વાસ સુધી સરદાર નવજીવનની ધુરા સંભાળી. છેલ્લાં ૧૦૬ વર્ષથી નવજીવન માત્ર એક પ્રકાશન સંસ્થા નથી રહી. ગાંધીજીના વિચારોને જીવંત રાખી નવી પેઢી સુધી આ વારસાને પહોંચાડવા અલગ અલગ સ્વરૂપમાં નવજીવન સક્રિય છે.
ભારતના ભવ્ય ભૂતકાળ અને સુરક્ષિત વર્તમાનમાં સરદારની ભૂમિકા એ આ પ્રદર્શનનું મુખ્ય હાર્દ છે. આ દરેક કળાકૃતિમાં સરદારનું વ્યક્તિત્વ છલકાય છે. ભારત દેશ, અમદાવાદ શહેર અને નવજીવન સંસ્થામાં સરદારનું જે પ્રદાન છે એ દરેક પ્રસંગને અહીં ભાવાંજલિ અપાઈ છે.
આ પ્રદર્શન પુરાવો છે કે ઇમારતો, પુસ્તકો અને દસ્તાવેજો પૂરતું સરદારનું જીવન અને કાર્ય સીમિત નથી. અખંડ ભારતના શિલ્પી, કુશળ લોકનાયક અને વિચારવંત સેવક તરીકે સરદાર દરેક પેઢી સુધી પહોંચતું પ્રેરણાનું અજવાળું છે.
આ પ્રદર્શનમાં કુલ 15 કલાકારોએ ભાગ લીધો છે. જેમાં અવની વરિઆ, ભારવી ત્રિવેદી, દીપ્તિ શુક્લ, ગોપાલ પરમાર, જયેશ શુક્લ, જીગ્ના ગૌદાના, બંસિધર ખત્રી, મહેન્દ્ર મિસ્ત્રી, મિલન દેસાઈ, નિલેશ સુથાર, રાકેશ પટેલ, રોમા પટેલ, રોનક સોપારીવાલા, વેદના વૈશ્ય અને સુમેધ કુમાર કિશનનો સમાવેશ થાય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Resonance #Sardar #Navajivan #TheArtist’s #Eye #NavajivanTrustcampus #150thbirthAnniversaryofSardarVallabhbhaiPatel #SardarVallabhbhaiPatel #75yearsoftheNavajivanTrustbuilding #ahmedaba



