- શ્રી રાધાષ્ટમી નો ઉત્સવ ભવ્ય ધામ ધૂમ સાથે ઉજવાયો, હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી શ્રી રાધા માધવ ને ભવ્ય પ્રકારના નવા વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પો થી શણગારવામાં આવ્યા હતા.
- શ્રી રાધા માધવ ના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
- શ્રી રાધે રાધે અને રાધે કૃષ્ણના જય નાદ અને જયઘોષ સાથે મંદિર પરિસરમાં અનેરો ભક્તિમય માહોલ છવાયો
અમદાવાદ: 01 સપ્ટેમ્બર 2025:
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે આજે તા. 31 ઓગસ્ટ 2025 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભક્તિભાવપૂર્વક અને ભવ્ય ધામ ધૂમ સાથે ઉજવાયો હતો..જે શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રી રાધે રાધે અને રાધે કૃષ્ણના જય નાદ અને જયઘોષ સાથે મંદિર પરિસરમાં અનેરો ભક્તિમય માહોલના અવતરણનો શુભ દિવસ છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના 15 દિવસ અંતે રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીયો માં રાધારાણી ને મુખ્ય ગોપી તરીકે ખુબજ ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ની ભક્તિ નો શુદ્ધ સાર છે. કૃષ્ણ ભક્તિ દ્વારા ભક્તો શ્રીમતી રાધારાણીની પૂજા કરી હતી, પ્રાર્થના કરી હતી.

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આ દિવસે શ્રી શ્રી રાધા માધવ ને ભવ્ય પ્રકારના નવા વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પો થી શણગારવામાં આવ્યા હતા. મંદિરને તથા ગર્ભગૃહને જાતજાતના રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવતા ચૌતરફનું વાતાવરણ આનંદમય અને સુગંધીદાર પુષ્પોથી સુશોભિત થયું હતું.

શ્રી શ્રી રાધા માધવ ના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા ખાસ સેવા અર્પણ કરવામાં આવી હતી જેમકે 108 વિવિધ પ્રકાર ના રાજભોગનું અર્પણ, 7 પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરેલ જળના 108 કળશ દ્વારા મહાભિષેક, ઋગ્વેદમાં વર્ણવવામાં આવેલ ‘પુરુષ સૂક્ત’ નું પઠન, તેમજ ભક્તો દ્વારા શ્રીમતી રાધારાણીનું મહત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતા કીર્તન અને ભજનો ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરે કૃષ્ણ મંદિર ભાડજ ના પ્રેસિડેન્ટ શ્રી જગનમોહન કૃષ્ણ દાસે “રાધાષ્ટમી” ની મહત્તા વિષે વિશેષ પ્રવચન આપ્યું હતું.

ઉત્સવના અંતમાં ભગવાનની પ્રસન્નાર્થે મહા આરતી અને ભવ્ય પાલકી ઉત્સવ પણ યોજવામાં આવી હતી જયારે ભક્તો દ્વારા શ્રીલ રૂપ ગોસ્વામી કે જેઓ વૃંદાવનમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સર્વોચ્ચ ભક્ત હતા, તેમના દ્વારા નિર્મિત શ્રી રાધીકાષ્ટકનું ગાન ઉત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું હતું..

રાધા અષ્ટમીના આજના ભવ્ય ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ અને ભક્તો રાધા રાણી સરકારના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને રાધે રાધે…. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ… ના જય નાદ સાથે સમગ્ર વાતાવરણ અને માહોલ ભક્તિમય બનાવી દીધો હતો… હજારો શ્રદ્ધાળુ ભક્તોએ આજના રાધા માધવ ના અત્યંત મનમોહન અને આકર્ષક સાંજ શણગાર અને સુશોભનના દર્શન કરીને પણ ભારે ધન્યતા અનુભવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #HareKrishnaMandirBhaja #ShriRadhaShtamiUtsav #Vrindavan’s #Gopis #RadhaRani #GopiGod #ShriKrishna #Bhakti #KrishnaBhakti #ShriRadhaRani #Worship, #Prayer #ShriRadhaMadhav #ShriRadheraDhe #Radhekrishna #Jaynad #JayGhosh #TemplePremises #BhaktiYamahol #gandhinagar #ahmedabad
