નીતા લીંબાચીયા
15 જાન્યુઆરી, 2023:
મકરસંક્રાંતિના પાવન અવસર નિમિત્તે પૂજ્ય મોરારી બાપૂએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, નાનપણમાં જ્યારે કોઇ વ્યક્તિ પતંગ ઉડાડે અને તેની પતંગ આકાશામાં ઉડે ત્યારે હું ખૂબજ રાજી થતો. મારા મનમાં એવો ભાવ રહેતો કે પતંગને દોરી મળી છે અને આકાશામાં ઉડી છે ત્યારે ભગવાન કરે આ પતંગ અને તેની દોરી બીજા કોઇની પતંગ કાપે નહીં.

તેમણે કહ્યું હતું કે, વ્યક્તિને પતંગ ઉડાડવાના આનંદ કરતાં બીજાની પતંગ કાપવામાં વધુ રૂચિ હોય છે. આથી જેની પતંગ કપાય તેના તરફ મને પીડા થતી અને જેને સારી દોરી મળી અને બીજાની પતંગ કાપે તેના પ્રત્યે મને દયા આવતી.

પૂજ્ય બાપૂએ ધ્યાન દોર્યું હતું કે, દુકાનોમાં જે પતંગ અને દોરી વેચાણ માટે મૂકેલી હોય છે, તે સંપીને રહે છે. જોકે, જ્યારે પતંગને દોરી મળે છે અને આકાશમાં ઉડે ત્યારે બીજાની પતંગ કાપવાની સ્પર્ધા શરૂ થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આટલા મોટા આકાશમાં દરેકને સત્તા, સંપત્તિ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, પૈસા, ઊંચા આસન, જયજયકારનો દોર મળ્યો છે. તેમની પતંગ આકાશમાં ઉડે તે સારી છે, પરંતુ તેની સાથે બીજાની પતંગ કાપવાની વૃત્તિ પણ શરૂ થાય છે. મકરસંક્રાંતિ આપણને શીખવે છે કે વિશાળ ગગનમાં આપણે પ્રગતિ કરીએ પણ આપણી પ્રગતિ અ ઊંચાઇ બીજાની સાથે સ્પર્ધા કરવા કે તેમને કાપવા માટે ન હોવી જોઇએ.
#bharatmirror #bharatmirror21 #news #moraribapu #uttarayan #ahmedabad
