નીતા લીંબાચીયા
13 નવેમ્બર, 2022:
આ વર્ષે દેવદિવાળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી, ગ્રહણ સુતક લાગતું હોવાથી શ્રી વૈભવ લક્ષ્મી માતાજીનું મંદિર ભક્તોના દર્શાનાર્થે બંધ રાખવામાં આવ્યું હતું, જેથી થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ શુક્રવાર વદ- ત્રીજના દિવસે ધરાવવામાં આવ્યો હતો,
જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે છેલ્લા ૨૩ વર્ષથી શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે. આ વર્ષે માતાજીને ધરાવવામાં આવેલા ભવ્ય અન્નકુટના દર્શાનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
મંદિરના પૂજારીએ શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવાના મહાત્મયની જાણકારી આપતા જણાવ્યું હતું કે, સમુદ્રમંથન વખતે તેમાંથી વૈભવલક્ષ્મી, અધિલક્ષ્મી, વિજ્યાલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિરલક્ષ્મી અને ઐશ્વર્યલક્ષ્મી એમ અષ્ટલક્ષ્મી પ્રગટ થયા હતા.
આ અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા દેવો અને દાનવોએ વિવિધ ફળફળાદિ અને પકવાનોનો નૈવેધ ધરાવ્યો હતો. ત્યારથી સમગ્ર દેશમાં લક્ષ્મીજીના વિવિધ મંદિરોમાં છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #srivaibhavlakshmiemple #annakut #ahmedabad